મુસ્લીમ યુવાનને રમઝાન માસ ફળ્યો વેસ્ટ બંગાળનાં યુવાનનું ૧૭ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

વેસ્ટ બંગાળનાં પોંચા બિહાર જીલ્લાનો યુવાન મુસ્તાકઅલી ઉ.વ. ૨૩  ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ખૂબ જ ચિંતા સેવી હતી. વર્ષો સુધી તે વિવિધ રાજ્યોનાં  શહેરો, ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો.  પરિવારજનોએ તે મળશે તેવી આશાઓ પણ છોડી દીધી હતી. આખરે તે રખડતો-ભટકતો સૂરતનાં આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલક શ્રી જેરામભાઇ ભગત અને ટ્રસ્ટીઓ તથા સેવાભાવીઓએ તેની ખૂબજ સારી સારવાર સાથે સરભરા કરી હતી.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત સેવાશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે  ભુજ તેડી આવ્યા.

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આ યુવાનને આશ્રય આપી તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે પશ્ર્ચિમ બંગાળ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાયા.

રમઝાન મહિનામાં સમાચાર મળતાં જ પરિવારમાં ખુશી છવાઇ ગઇ. ભુજ વીડીયો કોલ કરી પોતાનાં સંતાન અંગે વૃદ્ધ માતા-પિતાએ ખાત્રી મેળવી. આજ અમારો દીકરો છે. એવું કહીં માતા વીડીયો કોલથી પુત્રને જોઇ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

માતા-પિતા ભુજ પહોંચી શકે તેમ નહોઇ મુસ્તાકઅલીનાં બનેવી અને ભાણેજ ભુજ આવી પહોંચ્યા. ૧૭ વર્ષ પછી પણ મુસ્તાકઅલીએ પોતાનાં સગા-સ્નેહીઓને ઓળખી કાઢ્યા, ત્યારે એક-બીજાને ભેટતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઘરેથી નીકળ્યો ત્યારે આ યુવાન ૨૩ વર્ષનો હતો. આજે ૪૦ વર્ષનો થઇ ચૂક્યો છે. આમ આ પરિવારની વેદનાંઓનો ૧૭  વર્ષ પછી અંત આવ્યો હતો. અને પરિવારને રમઝાન માસ ફળ્યો હતો.

માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપશે શાહ, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, સહભાગી બન્યા હતા.