માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા, એકલા-અટુલા નિરાધાર જેનું અહીં કોઇ નથી તેવા માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય ૧૪ વર્ષથી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૬૦૮ જેટલા માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની ઘર સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ૫,૧૦,૧૫,૨૦ વર્ષે ફેર મિલન થયું છે. શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતની સંસ્થા આ કાર્ય માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૩ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં તેમના ઘરે જવા નીકળ્યા હતા.
માનસિક આરોગ્યની હોસ્પીટલનાં ડો. મહેશભાઇ ટીલવાણીની સારી સારવારથી તેઓની યાદશકિત પાછી ફરી હતી. દરેકનાં એચ.આઇ.વી. તથા કમ્પલીટ બ્લડ ચેકીંગ રિપોર્ટ પણ નીલ આવ્યા હતા. તો સેવાશ્રમમાં દાખલ થતા અને ઘરે જતા માનસિક દિવ્યાંગોની જાણ ફોટાઓ સહિત “બી’’ ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજને આપવામાં આવી હતી. કચ્છમાં રસ્તે રઝળતા અને જુદા જુદા વિસ્તારોમાં પડ્યા પાથર્યા રહેતા ૧૩ પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોને પાલારા-કચ્છ મધ્યે સારી સારવાર અપાતાં તેઓની યાદશક્તિ તાજી થતાં તેમની પાસેથી મળેલ માહિતીના આધારે તેમના રાજ્ય-ગામ પરિવાર માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા હતા.
પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ.ગોહેલસાહેબ,રેવુભા આર. જાડેજા, હરેશભાઇ એન.ચંદે, પ્રદિપભાઇ વી. ઠક્કર, નિતીન ઠક્કરના અતિથિ વિશેષપદે અનેક શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સૌને આવકાર આપ્યો હતો. ઘરે જઇ રહેલા દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી, અક્ષતે વધાવી, હાર પહેરાવી અનેક શુભેચ્છાઓ પાઠવાઇ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી ડી.એમ.ગોહેલે જણાવ્યું હતું કે, રસ્તે રઝળતા અનેક મનોરોગીઓને ઘર શોધી આપવાનું અને ઘરે પહોંચાડવાનું કાર્ય મહાન છે. અહીંથી ૧૩ માનસિક દિવ્યાંગોને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી દરેક પોતાનાં ઘર સુધી પહોંચશે. ૧૩ માનસિક દિવ્યાંગો જુદા-જુદા ૭ રાજ્યોનાં હતા. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં દયારામ મારાજ, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવા, આનંદ રાયસોની, ગુલાબ મોતા, દિપેશ શાહ, મહેશભાઇ ઠક્કર, વાલજી કોલીએ સહયોગ આપ્યો હતો..