ભોજન સમારંભો, ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા પ્રસંગોપાત વધી પડેલો મહાપ્રસાદ કે ભોજન ગરીબોનાં ઝુંપડે પહોંચાડતી માનવજ્યોત સંસ્થા ભુજને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીની પ્રેરણાથી દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ માવજી વાગજીયાણી (ટપરીયા) પરિવાર કેરા-કચ્છ (મોમ્બાસા-કેન્યા) દ્વારા નવું છોટા હાથી વાહન અર્પણ કરાયું હતું. વાહનની ચાવી પૂ. આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરાઇ હતી. પૂજ્યશ્રીએ માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાનાં સર્વે કાર્યકરોને આશિર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે દાતા પરિવારનાં શ્રી ઘનશ્યામભાઇ, દિલીપભાઇ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, નીતીનભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, મુરજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, રસીકભાઇ ઠક્કરે ઉપસ્થિત રહી નવા વાહનની ચાવી સ્વીકારી દાતાશ્રીપરિવારનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સંસ્થા દ્વારા આ વાહનથી ભુજ અને ભુજ વિસ્તારમાંથી પ્રસંગોપાત વધી પડેલી રસોઇ એકઠી કરી ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડાશે. આ વધી પડેલી રસોઇમાંથી સંસ્થા દર વર્ષે અઢી લાખ ગરીબોને તેમનાં ભૂંગા-ઝુંપડા સુધી જઇ ભરપેટ જમાડે છે. આ પ્રસંગે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં સર્વે સંતશ્રીઓએ ઉપસ્થિત રહી આશિર્વાદ પાઠવ્યા હતા.