સાહસ-શોર્ય-સેવા સાથે સત્ય ઘટનાઓનું માનવજ્યોત દ્વારા પુસ્તક પ્રસિદ્ધ કરાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માનવસેવા,જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી ૪૯ જેટલી પ્રવૃત્તિઓ કચ્છભરમાં ચાલી રહી છે.

આ પ્રવૃત્તિઓને અનુલક્ષીને અનુભવાયેલી સાચી સ્ટોરીઓનું એક પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૧ અનુભવાયેલી સાચી સ્ટોરીઓ મુકવામાં આવી છે.

ગુમ થયેલા અને મળી આવેલા લોકોની સ્ટોરીઓ, કોરોનાં કાળમાં થયેલા અનુભવો, માનસિક દિવ્યાંગોનું પરિવાર સાથે મિલન, વૃદ્ધ વડીલોની યાત્રા, ‘‘મા,, ની મમતા-કરૂણા અને પ્રેમ, જીવદયા, માનવસેવાની પ્રવૃત્તિઓ, કન્યાકુમારી, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગલેન્ડ જેવા રાજ્યોમાં સંસ્થા પહોંચી, ૨૫૩૧ ગુમ થયેલા લોકોને શોધી કાઢવાની થયેલ કામગીરી આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે.

સંસ્થા દ્વારા આ પ્રથમ પુસ્તક મણીનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાનનાં પૂજ્ય સ્વામિ જિતેન્દ્રીયપ્રિયદાસજીને શ્રી બાપાશ્રીનાં મંદિર માધાપર મધ્યે અર્પણ કરવામાં આવેલ.

વર્ધમાનનગર મધ્યે કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાને આ પુસ્તક માનવજ્યોતના પ્રબોધ મુનવરે અર્પણ કરેલ. આ પ્રસંગે વર્ધમાનનગર ઓનર્સ એસો. ના અધ્યક્ષ શ્રી રાહુલભાઇ મહેતા, હિતેશભાઇ ખંડોલ, મહેન્દ્રભાઇ મોરબીયા, દિપક લાલન, ચેતનભાઈ સંઘવી, ગૌતમ શાહ, પરેશ શાહ, હિતેન્દ્ર સંઘવી, તુષાર જૈન, વિરેન સંઘવી, જીતુભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ માનવજ્યોતની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.