મધ્યપ્રદેશનાં દમોદ વિસ્તારની મહિલા સુમિત્રા રાઠોડ ઉ.વ. ૬૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે પોલીસમાં તેની ગુમ નોંધ કરાવી હતી. રખડતી-ભટકતી તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમ સુધી પહોચી હતી. સંસ્થાનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલે તેની ખૂબ જ સારી સારવાર કરાવી. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને બાયડથી ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરાવી. તે સ્વસ્થ બનતા મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનાં પરિવારજનો શોધી કાઢ્યા હતા.
પોલીસ અધિકારીઓ વિક્રમ સૂર્યવંશી તથા ફિરદોસ કુરેશી તેના પતિ હીરાલાલ રાઠોડને લઇ ભુજ પહોંચ્યા હતા. પતિ-પત્નીનું ૩ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મધ્યપ્રદેશ પોલીસે માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, સામાજીક કાર્યકરો મનીષા સોલંકી, ધર્મિષ્ઠા સોલંકી, વંદના સોલંકી, મિતલ પરમાર સહભાગી બન્યા હતા.