માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

ઉનાળાની કાળઝાળ ગર્મીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માટીનાં કુંડા તથા ચકલીઘરનું વિતરણ કાર્ય શરૂ કરાયું હતું.

ભચાઉ તાલુકાનાં નેર ગામના પાબુદાદા મંદિર  પ્રાંગણેથી ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા તથા જાણીતા દાનવીર દાતાશ્રી નાનજીભાઇ ખીમજી થાણાવાલાનાં શુભ વરદ્‌ હસ્તે જીવદયાનાં આ કાર્યનો પ્રારંભ કરાયો હતો.

છેલ્લા ૧૫ વર્ષથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જીવદયાનું આ કાર્ય કરવામાં આવે છે. તેવું શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું.

માનવજ્યોત સંસ્થાએ શરૂ કરેલ જીવદયાની આ પ્રવૃત્તિ સમગ્ર કચ્છ જિલ્લામાં પહોંચી છે. ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ આ પ્રવૃત્તિ પહોંચી છે. માટીનું રૂપકડું ચકલીઘર હવે ચકલીઓ માટે રહેઠાણનું ઘર બની ચૂકયું છે. તો પાણીનાં માટીનાં કુંડા ઠેર-ઠેર લટકતા જાવા મળે છે. તરસ્યા પક્ષીઓ કુંડાઓ ઉપર બેસી પોતાની તરસ છીપાવે છે. આમ જીવદયાનું આ કાર્ય આગળને આગળ ધપી રહ્યું છે. જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઇનો આ પ્રવૃત્તિ માટે સહયોગ સાંપડ્યો છે.

ઉનાળાની સખત ગરમીમાં પાણી ન મળવાથી અનેક પક્ષીઓ તરફડી ને મૃત્યુ પામે છે. ત્યારે આ પ્રવૃત્તિથી અનેક પક્ષીઓને જીવનદાન મળશે.