૩૨ વર્ષથી ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. ફન્દીદ્રભૂષણ સહાય ઉ.વ. ૬૦ (એમ.બી.બી.એસ.) ની અચાનક માનસિક સ્થિતિ બગડતા જખૌ (અબડાસા) થી ભુજ સુધી પહોંચ્યા હતા. આખી રાત ભુજમાં પગે ચાલીને રખડ્યા પછી પણ કોઇ કયાં આશ્રય મળ્યો નહતો. એમની પાસે ચાર હજાર રૂપિયા ખિસ્સામાં હતા એ પણ રાત્રે કોઇકે સેરવી લીધા. સવાર થતાં જ ખ્યાલ ન હોતો કે પોતે કયાં છે.
કોઇક જાગૃત નાગરિકે સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર્સ અને માનવજ્યોતના પ્રબોધ મુનવરને જાણ કરતા, તેમને રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી માનવજ્યોત કાર્યાલયે લઇ આવી તેમની પૂછતાછ કરી હતી. પણ તેઓ અસ્વસ્થ જણાતા અને કોઇક માનસિક ટેન્શનનું ભોગ બન્યા હોવાનું જણાતા તેઓને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી સારવાર આપવાનું શરૂ કરવામાં આવેલ. શરૂઆતમાં તેઓ ખુબ જ ક્રોધે ભરાઇ જતા. છેલ્લા પાંચ મહિનાંથી તેઓની સારવાર ચાલી રહી છે. હવે તેઓ સ્વસ્થ બન્યા છે.
મુળ પટના બિહારનાં આ ડોકટરશ્રી છેલ્લા ૨૬ વર્ષથી કચ્છમાં ડોકટર તરીકે સેવાઓ આપે છે. અગાઉનાં છ વર્ષ તેઓ બિહાર અને ગુજરાતમાં સર્વિસ કરી હતી. તેમની પત્ની શિક્ષીકા હતા. જેમણે હાલમાં વીઆરએસ લીધેલ છે. અને કાયમી વડોદરામાં રહે છે. ૧૮ વર્ષિય પુત્ર પંજાબમાં એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
૧૯૯૫ માં કચ્છમાં આવેલા આ ડોકટરશ્રીએ જનાન,ખીરઇ, સુવઇ, ભીમાસર, આડેસર, રાપર, ભચાઉ, ભીમાસર,દયાપર, બરંદા, નારાયણ સરોવર, નખત્રાણા, નલીયા અને જખૌમાં ડોકટર તરીકે અત્યાર સુધી ફરજ બજાવેલ છે.
એમના હસ્તક જખૌ પીએચસીમાં દરરોજ ૯૦ દર્દીઓનું ઓપીડી થતું હતું. આજે પણ દર્દીઓ એમની સેવાઓને યાદ કરી રહ્યા છે.
કોલેરા,મલેરીયા, સ્વાઇન ફલુ, ડેન્ગ્યુ વગેરે રોગચાળા વખતે પણ સુંદર કામગીરી કરેલ. અવાર-નવાર મીટીંગોમાં પણ તેઓશ્રી ભુજ આવતા.
નલીયા,જખૌમાં તેઓ થોડી બેચેની અનુભવતા. નલીયામાં રહેવાનું રાખ્યું ત્યાર બાદ જખૌમાં પણ રહ્યા. આખી રાત ઊંઘ ન આવતી. પારિવારિક વિચારોએ એમને મુંઝવી દીધા. અને આખરે મગજ ઉપરથી કાબૂ ગુમાવ્યો. માસિક રૂ. ૮૦ હજાર પગાર ધરાવતા આ ડોકટર સાહેબનો મહિને જે કાંઇ પગાર બેંક એકાઉન્ટમાં એમનાં ખાતામાં જમા થતો એ તેમની પત્ની કે બાળક તુરત જ ઉપાડી લેતા. પટનામાં તેમનાં બે મોટા ભાઇ અને ભાભી રહે છે. તેઓ પણ ફોન દ્વારા ડોકટર સાહેબના ખબર અંતર પુચ્છે છે.
હાલમાં છેલ્લા પાંચ મહિનાંથી તેમને કોઇ પગાર મળેલ નથી. તેમજ તેઓ માનસિક બિમારીમાં હતા એટલે સર્વિસ પણ કરી શકયા ન હતા. માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ડો. મહેશભાઇ ટીલવાણીની સારી સારવારથી તેઓ સ્વસ્થ બન્યા છે. ડોકટર સાહેબના કહેવા મુજબ એમની પત્ની એકદમ સુખી છે. એટલે આવશે નહીં. વીઆરએસ લઇ પુત્ર પાસે પંજાબ જવાની ઇચ્છા છે. કદાચ પુત્ર નહીં રાખે તો હું મારી રીતે જિંદગી જીવીશ. કચ્છમાં પણ રહેવાની ઇચ્છા છે. સાથે રહીને સેવા કરે તેવા માણસની જરૂરત છે. સરકારશ્રીનાં આરોગ્ય ખાતામાં મારી અરજી તેમજ કાગળોની કાર્યવાહી ચાલુ છે.
વર્ષ ૧૯૮૬ થી મને થોડી માનસિક તકલીફ રહેતી પણ પછી એકદમ સારું થઇ ગયું હતું. મેં જ્યાં પણ ફરજ બજાવી ત્યાં નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી છે. એમ.બી.બી.એસ. ડોકટર તરીકે કચ્છમાં ૨૬ વર્ષ ગાળ્યા છે. અનેક દર્દીઓ મારી સારવારથી દર્દ મુક્ત બન્યા છે. જેનો મને આનંદ છે. મારા સર્વિસ ગાળા દરમ્યાન કર્મચારી સાથી મિત્રો તથા અધિકારી વર્ગનો સુંદર સહકાર મળ્યો હતો. માનવજ્યોતના પ્રબોધ મુનવર, રફીક બાવા, દિપેશ શાહ, ગુલાબ મોતા, આનંદ રાયસોની તથા સર્વે કાર્યકરો તેમને મદદરૂપ બન્યા હતા.