માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા–કચ્છ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી ભુજ શહેરમાં એકલા–અટુલા–નિરાધાર અને ૭૦ ની વય વટાવી ચૂકેલા ૧૦૦ વડીલ વૃદ્ધોને ઘેર બેઠાં ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. વડીલો ઘેર બેઠાં ભોજન જમી રહ્યા છે.
ભુજનાં કબીર મંદિર સ્થળેથી મહાવીર-કબીર-સાંઇ-સત્સંગ મંડળ અને જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઇનાં સહયોગથી શ્રવણ ટીફીન સેવાનો ૧૭ વર્ષ પહેલાં પ્રારંભ કરાયો હતો. શરૂઆતમાં ૩૦ વૃદ્ધ વડીલોનાં ઘર સુધી જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવતું. જયારે આજે ૧૦૦ વૃદ્ધ વડીલોનાં ઘર સુધી દરરોજ ટીફીન દ્વારા રેગ્યુલર ભોજન પહોંચાડવામાં આવે છે. આ સેવા કાર્ય માટેનું વાહન જુનું થઇ જતાં સંસ્થાએ દાતાશ્રી પાસે ટહેલ નાખી હતી. શ્રી રામદેવ પીરની અસિમ કૃપાથી માતુશ્રી જીવાંબાઇ પાસુભાઇ ગડ્ડા-કોડાય હસ્તે પ્રેમીલાબેન લક્ષ્મીચંદ પાસુભાઇ શાહ કોડાય હાલે નવનીતનગર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને આ સેવાકાર્ય માટે નવું વાહન કોડાય ગામે કોડાય જૈન મહાજનશ્રીનાં આગેવાનો તથા ગામવાસીઓની ઉપસ્થિતિમાં માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરવામાં આવેલ. વાહનની ચાવી સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરને અર્પણ કરવામાં આવેલ. સંસ્થા વતી દાતા પરિવારનાં લક્ષ્મીચંદભાઇ તથા પ્રેમીલાબેનનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ. પરિવાર વતી વિજયભાઇએ સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો.