બિહારનાં શીખપુરા જીલ્લાનાં એકરાય ગામનો યુવાન મનોહર માંઝી ઉ.વ. ૪૪ ગુમ થતાં પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં રખડતો-ભટક્તો રહી તેણે અનેક વિધ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.
આખરે તે આશિર્વાદ માનવમંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સૂરત મધ્યે પહોંચ્યો હતો. ત્યાનાં સંચાલક જેરામભાઇ ભગત તથા સર્વે સેવાભાવીઓની ટીમે તેની ખૂબ સારી સારવાર સાથે સરભરા કરી.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. બિહાર પોલીસની મદદથી તેનું ઘર-પરિવાર શોધી કઢાતાં પરિવારજનો પોતાનાં વાહન મારફતે ભુજ પહોંચ્યા હતા.
પિતા-પુત્રનું ૧૦ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી. તેની પત્ની, બાળકો, ભાઇ, બહેન મનોહર માંઝી ઘરે આવવાની રાહ જોઇ બેઠા તા. આખરે તે ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ હતી. અત્યારે તે ૫૪ વર્ષનો થઇ ચુકયો છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, વાલજી કોલી, પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા.