કર્ણાટકનાં બેંગ્લોરનાં વૃદ્ધ પુટસ્વામી ઉ.વ. 67 ગુમ થતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી.
આ વૃદ્ધ રખડત-ભટકત આખરે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યા હતા. ભુજ ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને એકદમ ગંભીર હાલતમાં મળી આવતાં તેઓએ પોતાના બાઇકથી વૃદ્ધ વડીલને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યા હતા.
તે એકદમ બિમાર હોતા તેને ઓધવરામ સર્જીકલ હોસ્પીટલનાં ડો. રાજેશ ગોરીએ નિઃશુલ્ક સારવાર આપી હતી. અને તેને મોતમાંથી ઉગારવામાં આવેલ. આશ્રમનાં સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ કર્ણાટક પોલીસની મદદથી તેના ઘર –પરિવાર શોધી કાઢ્યા હતા. સમાચાર પ્રાપ્ત થતાં જ પુત્ર તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો. પિતા-પુત્રનું બે વર્ષ મિલન થતાં પરિવારમાં ખુશી છવાઇ હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી સહભાગી બન્યા હતા.