બિહારનાં લકીસરાયા વિસ્તારની મહિલા ઉ.વ. 32 સાથે તેના પતિએ કરેલ દુવ્યવહારનો ભોગ બની હતી.
બિહારની આ મહિલાનાં લગ્ન ઉત્તરપ્રદેશમાં થયા હતા. તેને દીકરો,દીકરી બે સંતાનો છે. કોરોનાકાળમાં તેની સાથે નબનવાની ઘટના બની. અને તેણે માનસિક સમતુલા ગુમાવી હતી.
તેનાં પતિએ તેને અજાણી ટ્રેનમાં બેસાડી દીધી. અને ત્યાર પછી સૌ સગા-સંબંધીઓને જાણકારી આપી કે વિજ કરંટ લાગવાથી મહિલા મૃત્યુ પામી છે. તેની અંતિમવિધિ કરી નાખવામાં આવી છે. યુ.પી.માં મહિલાનાં પિયરે પણ આ સંદેશો આપતાં જ મહિલાનાં પરિવારજનોએ ઉંડો આઘાત અનુભવ્યો. નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારે માની લીધું કે હવે પોતાની દીકરી આ દુનિયામાં નથી. ત્યાર બાદ મહિલાનાં પરિવારજનો હરિયાણા રહેવા ચાલ્યા ગયા. મહિલાનાં પતિએ પોતાનાં સાસરા પક્ષથી સંબંધોનો અંત લાવી દીધો, અને બાળકોની સંભાળ સાથે પોતાનું અલગ રહી જીવન જીવવા લાગ્યો.
ટ્રેનમાં બેસાડવામાં આવેલી યુવાન મહિલા અન્ય રાજ્યનાં અજાણ્યા શહેરમાં પહોંચી, ત્યાંથી તે સતત ચાર વર્ષ સુધી વિવિધ રાજ્યોનાં અનેક શહેરો-ગામડાઓમાં રખડતી-ભટકતી રહી અને છેલ્લે અચાનક તે રેલ્વે માર્ગે ભુજ પહોંચી હતી. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવાને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારી સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બની હતી.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહારમાં તેનું ઘર શોધવા ખૂબ જ છાનબીન કરી. પણ ઘર મળવું કઠીન હતું. આખરે બિહારનાં લકીસરાયા સિકંદરાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારનાં એસ.પી. આ કેશમાં મદદરુપ બન્યા. અને હરિયાણા રહેતા મહિલાનાં પિતાનો સંપર્ક કરાવી આપ્યો. સમાચાર મળતાં જ પિતાએ જણાવ્યું કે, મારી દીકરી 4 વર્ષ પહેલા મૃત્યુ પામી છે. તેની દરેક ધાર્મિકક્રિયાઓ પૂરી થઇ ગઇ છે. ત્યાંની પોલીસની મદદથી પાલારા આશ્રમ સ્થિત દીકરી સાથે વીડીયોકોલથી વાત કરતાં તેને જોઇ પિતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા, મહિલાનાં પિતા તથા તેનાં કાકાઇ ભાઇ હરિયાણાથી ભુજ પહોંચ્યા હતા, વ્હાલસોયી દિકરીને મળતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરવા, વાલજી કોલી, દિલીપ લોડાયા, વિનોદ મારાજ તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.