દિવ્યાંગ નકુલ દેવ પાંચ વર્ષ પછી ઘરે પહોંચ્યો

બિહારનાં લખીસરાય વિસ્તારનાં લખનાં ગામનો ૪૦ વર્ષિય યુવાન નકુલ દેવ પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેને શોધવા તનતોડ મહેનત કરી હતી. પણ એનો કોઈ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ સારી સેવા કરી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ દિવ્યાંગ યુવાનને ભુજ લઈ આવ્યા અને બિહાર પોલીસની મદદથી તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા. સમાચાર મળતાં જ તેના ભાઇ-ભત્રીજા ભુજ આવી પહોંચ્યા હતા. પાંચ-પાંચ વર્ષ પછી મિલન થતાં પરિવારજનોની આંખો અશ્રુભીની બની હતી. પરિવારજનોનાં જણાવ્યા મુજબ નકુલદેવને ૪ સંતાન છે. બે-પુત્રો, બે પુત્રી છે. તે પૈકી બે દીકરીઓનાં લગ્ન તેની ગેરહાજરીમાં થઈ ગયા છે. નકુલદેવનાં માતા-પિતા-પત્ની તથા બાળકો તેની ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે. પ્રોપર્ટીમાં ખેતીવાડી તેના નામે છે. દિપાવલી પર્વે નકુલદેવ મળી આવતાં પરિવારમાં ખુશી છવાઈ છે. તે ઘરે પહોંચતાં જ પરિવારજનોએ દિવાળી પર્વ પાંચ વર્ષ પછી સાથે રહીને મનાવ્યો હતો. આજે તેની ઉંમર ૪૫ વર્ષ થઈ ચૂકી છે.

માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, રફીક બાવા, દીપેશ શાહ, વેસુભા સોઢા, પરેશ ગોસ્વામી, વિજય ગાલા, રસિક જોગી સહભાગી બન્યા હતા.