જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરાઇ દિવ્યાંગ મહિલા તથા ૧૧ મહિલા આગેવાનોને સત્કારાયા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ અને માનવજ્યોત સંસ્થા ભુજનાં ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ એકમ-મવન ભુજ મધ્યે યોજાયો હતો.

કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિફ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે જયારે અતિથિવિશેષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના જીલ્લા પેનલ એડવોકેટ અને મીડીયેટર શ્રી પ્રવિર ધોળકિયા, આદર્શ નારી શ્રી મણીબેન મંગે, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી મગનભાઇ ઠક્કર, મિલેસુર હમારા વુમન્સ કરાઓકે સંસ્થાનાં શ્રી પૂજાબેન અયાચી, ડો. પ્રતિક્ષાબેન પવારે શોભાવ્યું હતું.

કાર્યક્રમનું દિપપ્રાગટ્ય જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિવિલ જજ શ્રી બી.એન.પટેલ સાહેબે કર્યું હતું. સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા અમૃતાબેન ટાંકનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. ઇશાબેન ટાંકે “બેટી બચાવ, ઉપર સુંદર પ્રવચન આપ્યું હતું. કુ. ઇશા ટૉકનું હાર તોરાથી સન્માન જજ શ્રી બી.એન. પટેલ સાહેબે કર્યું હતું.

આ પ્રસંગે શહેરનાં ૧૧ મહિલાઓ આશાપુરા મહિલા મંડળ પ્રમુખ સ્વામીનગરના કલ્પાબેન ચોથાણી તથા કપીલાબેન જેઠવા, મેહુલ પાર્ક મહિલા મંડળનાં શીતલબેન ચંદન, સહયોગ નગર મહિલા મંડળનાં વિમલાબેન જબુવાણી, મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગરનાં જયાબેન મુનવર, સખી-સાહેલી જન જાગૃતિ કેન્દ્રનાં અનિતાબેન ઠાકુર, જલારામ મહિલા મંડળ માધાપરનાં તારાબેન બુદ્ધભટ્ટી, નીલમ ચેરીટેબલ ટ્રસ્ટનાં કુલસુમબેન સમા, રઘુવંશી મહિલા મંડળનાં માલાબેન જોષી, વીરા ફાઉન્ડેશનનાં હેતલબેન સિંઘ, જયભારત મહિલા મંડળનાં રાયમાબેન સમાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ.

આદર્શનારી શ્રી મણીબેન મંગેએ જણાવ્યું હતું કે, મહિલાઓનું થતું શોષણ અટકાવીએ, મોબાઇલનાં અતિરોક્તથી બચીએ. સિંગર શ્રીમતિ પૂજાબેન અયાચીએ જણાવ્યું હતું કે, પ્રથમ ‘‘મા’’ નાં ચરણોમાં વંદન છે. દરેક મહિલાઓ આગળ આવી અને ઉચ્ચ જીવન જીવે.

શ્રેષ્ઠ શિક્ષક શ્રી મગનભાઇ ઠક્કરે કાવ્યો સાથે મહિલાઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, નારીનું સ્થાન શ્રેષ્ઠ છે. દરેક મહિલાઓ ખૂબજ આગળ વધે એ જરૂરી છે. દેશ-વિદેશની અનેક મહિલાઓની અગ્રતા વર્ણવી હતી.

મીડીયેટર પ્રવિર ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમૂલ્ય ખજાનો નારી શક્તિ પાસે છે. નારીને માન-સન્માન આપીએ. સંસ્કાર મેળવવા હશે તો સંયુક્ત કુટુંબ રાખવું પડશે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં જજ શ્રી બી.એન. પટેલ સાહેબે જણાવ્યું હતું કે, નવી પેઢીને નવી વાત ગમશે. નાનો સંકલ્પ કરી એક ઘર તૂટતો બચાવીએ. કોર્ટોમાં લગ્ન વિચ્છેદ કેશો વધી રહ્યા છે. ૩ મહિનામાં છૂટાછેડા જેવા બનાવો નબનવા જોઇએ. નાના કેસોને સમજાવટથી પૂરા કરવા જોઇએ. લગ્નવિચ્છેદ બનાવો કોર્ટ સુધી ન પહોંચવા જોઇએ. આપણાં અનુભવોથી સમાધાનથી ઉકેલવા જોઇએ. મહિલાઓને તમામ ક્ષેત્રોમાં આગળ વધવા સમજ પૂરી પાડી હતી.

કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર, નિતિનભાઇ ઠક્કર, નરશીભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ બાબરીયા, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, જયેશ લોડાયા, કનૈયાલાલ અબોટીએ સંભાળી હતી.