તા.૧૦-૨-૨૦૨૦ નાં ભુજ શહેરનાં પીઠાવાળી શેરી પાસેથી મળી આવેલ ૭ થી ૧૦ દિવસનાં ત્યજી દેવાયેલા બાળકને સંતાન વિહોણા ૭૦ થી વધુ પરિવારોએ દત્તક લેવા ઇચ્છા દર્શાવી હતી. કોઇક અજાણી માતાએ બાળકને મજબૂરીમાં આવીને ત્યજ્યું છે. જયારે હજાર હાથવાળા ઉપરવાળાની કૃપાથી આ બાળકને દત્તક લેવા અનેક પરિવારો આગળ આવ્યા છે. અખબારી યાદી પ્રસિદ્ધ થયા બાદ નિઃસંતાન કચ્છ અને મુંબઇનાં અનેક પરિવારોએ માનવજ્યોત તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રનાં મોબાઇલ નંબરો મેળવી આ બાળક દત્તક લેવા માટેની કાર્યવાહીની સમજ મેળવી હતી.
માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ અમારૂં કામ જીવ બચાવવાનું હતું બાળક બચી જવા પામેલ છે. પોલીસ કાર્યવાહી બાદ આ બાળક કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજને સોંપવામાં આવેલ છે. કાયદાકીય જાગવાઇ અને નિયમો અનુસાર ત્યજાયેલા બાળકની દત્તક આપવાની કાર્યવાહી ૯૦ દિવસ પછી થાય છે.બાળકને કોઇકે ત્યજયું છે ત્યારે નિઃસંતાન અનેક પરિવારો તેને દત્તક લેવા આગળ આવ્યા છે.