મધ્યપ્રદેશની મહિલા 3 વર્ષે ઘરે પહોંચી પરિવાર સાથે થયું ફેર મિલન

મધ્યપ્રદેશનાં અલીરાજપુર જીલ્લાની 65 વર્ષીય મહિલા ગુમ થતાં પરિવારજનોએ તેની ખૂબ જ ચિંતા સેવી હતી. ઘરથી બજાર જવા નીકળી હતી અને ગુમ થઇ ગઇ. માનસિક સમતુલા ગુમાવતાં તે ટ્રેનમાં બેસી ગઇ હતી. અનેક રાજ્યોમાં તે રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરાતનાં બાયડ શહેરનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચી હતી. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સેવા કરી.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને સાથે ભુજ તેડી આવ્યા. સેવાશ્રમ મધ્યે રાખી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બની હતી. રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર અને પરિવાર શોધી કાઢતાં, સમાચાર પ્રાપ્ત થતાં જ તેનો પુત્ર ભુજ આવી પહોંચ્યો હતો. તેનાં જણાવ્યા મુજબ તેની માતાની ચિંતામાં પિતા મૃત્યુ પામ્યા છે. પણ મારી માતા મળી આવતાં પરિવારજનો ખુશ ખુશાલ છે. માતા-પુત્રનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, રફીક બાવા સહયોગી બન્યા હતા.