ઓરિસ્સાનાં રાઉરકેલા વિસ્તારનો યુવાન રાજકુમાર પાત્રે ઉ.વ. 25 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ કયાં પણ અતો-પતો નમળતાં પરિવાર નિરાશ થયો હતો અને ચિંતામાં મુકાયો હતો. આખરે તે રખડતો-ભટકતો 7 મહિનાં પછી ટ્રેન મારફતે ભુજ પહોંચ્યો હતો. અને પગે ચાલતાં ભુજ-ખાવડા માર્ગેથી વાલજીભાઇ કોલીને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડેલ. જ્યાં તેની ખૂબ જ સારી સરભરા કરવામાં આવી હતી.
રાજકુમાર પાસેથી માહિતી મેળવી આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા. સમાચાર પ્રાપ્ત થતાં જ પરિવારમાં ખુશી છવાઇ ગઇ. તેની માતા તથા તેના બનેવી ઓરિસ્સાથી ભુજ પહોંચ્યા હતા. આશ્રમ સ્થળે પહોંચી પોતાનાં વ્હાલસોયા દીકરાને મળતા માતાએ હૈયા ફાટ રુદન કર્યું હતું. દળ-દળ આંસુએ રડતા-રડતાં જણાવ્યું હતું કે, દીકરો ગુમ થયો છે ત્યારથી સુખ-ચેનથી સૂતી નથી. ભારે બેચેની અનુભવી છે. રોઇ-રોઇને મારી હાલત ખરાબ થઇ છે. આજે મારો દીકરો મળતાં મને ખૂબ ખુશી છે. માની મમતા, કરુણા-પ્રેમનાં અહીં દર્શન થયા હતા. માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનું માર્ગદર્શન ઉપયોગી નીવડ્યું હતું.
આ મિલન સમયે શ્રી મહેન્દ્રભાઇ સંગોઇ, હરેશભાઇ વોરા, ગીરીશભાઇ નાગડા, ઉપસ્થિત રહ્યા હતા.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરુવા, વાલજી કોલી, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.