પરિવાર દ્વારા મૃત જાહેર થયેલ વડિલ ભુજમાંથી મળ્યા પિતા-પુત્રનું 7 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયાપુત્ર વિમાન માર્ગે ભુજ પહોંચ્યો

આસામનાં રાનીગંજ વિસ્તારનાં લુંટાપારા ગામનાં 63 વર્ષિય વડીલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. અનેક રાજ્યોમાંથી રખડતા-ભટકતા છેલ્લે તે સૂરતનાં આશિર્વાદ માનવ મંદિર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યા હતા. ત્યાંનાં સંચાલકો શ્રી જયરામભાઇ ભગત અને સમગ્ર ટીમે તેમની ખૂબ જ સારી સરભરા સાથે સારી સારવાર કરી હતી.

માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સૂરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ વૃદ્ધ વડીલને સાથે લઇ આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી તેની સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યા હતા. આસામ પોલીસની મદદથી તેનાં ઘર પરિવાર શોધી કઢાતાં તેના પુત્ર આસામથી વિમાનમાર્ગે અમદાવાદ પહોંચી ત્યાંથી
ભુજ પહોંચ્યા હતા. પિતા-પુત્રનું 7 વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પુત્રનાં જણાવ્યા મુજબ પિતાની ખૂબ જ રાહ જોયા પછી સમાજનાં માર્ગદર્શનથી આ વડીલની અંતિમક્રિયા પછીની વિધિઓ પણ કરી નાખવામાં આવેલ.

પણ જયારે ભુજથી પોતાનાં પિતા જીવીત હોવાનાં સમાચાર પ્રાપ્ત થતાં જ પુત્ર વિમાનમાર્ગે તાબડતોબ ભુજ આવી પહોંચ્યો હતો. મૃત વ્યક્તિ જીવીત હોવાના સમાચાર પરિવારજનોને મળતાં પૂરો પરિવાર આશ્ર્ચર્ય ચક્તિ બન્યો હતો. અહીં તેની ઉંમર 70 વર્ષની થઇ ચૂકી છે. આ વૃદ્ધ વડીલને પુત્ર પોતાની સાથે પ્લેનમાં આસામ તેડી ગયેલ. ઘરે પહોંચતાં જ પરિવારમાં અનહદ ખુશી છવાઇ હતી.

માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી સહભાગી બન્યા હતા.