પશ્ર્ચિમ બંગાળનાં બે યુવાન સૌરભ ઉ.વ. 25 રહેવાસી પૂર્વ મેઝરીપુર તથા અનુપમદાસ ઉ.વ. 40 રહેવાસી પૂર્વ મેઝરીપુર ગુમ થતાં બંનેના અલગ-અલગ પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. આખરે રખડતો-ભટકતો સૌરભ 3 વર્ષ પછી
બાયડના જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમ મધ્યે જયારે અનુપમદાસ સાડા ત્રણ વર્ષ પછી સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યા હતા. ત્યાંનાં સંચાલકોએ તેમની ખૂબ જ સારી સેવા કરી.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બંને આશ્રમોની મુલાકાતે ગયેલા ત્યારે આ બંને યુવાનોને ભુજ લઇ આવ્યા. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે તેમની સારી સારવાર થઇ. પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી બંને યુવાનોનાં ઘર શોધવામાં સફળતા મળી. પોલીસ તેનાં ઘર અને પરિવાર સુધી પહોંચતા પરિવારજનો ખૂબ જ ખુશ થયા. આનંદ-ઉલ્લાસ સાથે ભુજની માનવજ્યોત સંસ્થામાં વીડીયોકોલ કરી પરિવારની વ્યક્તિઓની ખાત્રી મેળવી. બંને પરિવારો ભુજ આવી પહોંચ્યા. ત્રણ-ત્રણ વર્ષ પછી બંને યુવાનોનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌરભનો પરિવાર નબળી પરિસ્થિતિનો હોવાથી માનવજ્યોત સંસ્થાએ પરિવારને આવવા-જવાનો ખર્ચ પણ આપ્યો હતો. પરિવારને સૌરભની ખૂબ જ જરુરત હતી. આખરે બંને યુવાનો પોતાનાં ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, દીપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા.