આંધ્રપ્રદેશનો શ્રી નિવાસ 7 વર્ષે ઘરે પહોંચ્યો

આંધ્રપ્રદેશનાં નંદીકોરકુટ વિસ્તારનો 48 વર્ષિય શ્રી નિવાસ 7 વર્ષ પછી ઘરે પહોંચતાં પરિવારજનોમાં અનહદ ખુશી છવાઇ હતી. અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે બાયડનાં જય અંબે સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચ્યો હતો. માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને ભુજ લઇ આવેલ.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવી આંધ્રપ્રદેશની પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કઢાતાં તેનો પુત્ર તેને તેડવા ભુજ આવી પહોંચ્યો હતો. તેનાં જણાવ્યા મુજબ પિતાની 7 વર્ષથી સતત શોધ ચલાવી રહ્યા છીએ. ઘરે મારી માતા તથા મારા ભાઇ-બહેનો શ્રી નિવાસ ઘરે આવશે તેવી લાંબા સમયથી રાહ જોઇ બેઠા છે. આખરે પરિવારની મુશ્કેલીનો અંત આવ્યો. પિતા-પુત્ર એકબીજાને ભેટી પડતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા.