મધ્યપ્રદેશના પતિ-પત્ની અને માતા-પુત્રોનું થયું ફેરમિલન

મધ્યપ્રદેશના કટની જીલ્લાનાં બીલહરી ગામની મહિલા સુનિતા ચૌધરી ઉ.વ. ૪૦ એક વર્ષથી ગુમ હતી .જેને શોધવામાં ભુજની માનવજ્યોત સંસ્થાને સફળતા મળી હતી. તેના પિતા અને ભાઇ મૃત્યુ પામ્યા છે. ૧૮ વર્ષ પહેલા સુનિતાનાં લગ્ન થયા હતા. પતિ મજુરી કામ કરે છે.

સુનીતાને ૧૩ અને ૧૬ વર્ષનાં બે પુત્રો છે. જે માતા ઘરે પાછી ફરશે તેવી આશા સેવી માતાની આતુરતાપૂર્વક રાહ જોઇ બેઠા હતા.

થોડી માનસિક સમતુલા ખોઇ તે સતત રખડતી ભટકતી બની ગઇ હતી. ભુજના રેલ્વે સ્ટેશને ટ્રેનમાંથી પેન્ટ-શર્ટ પહેરેલી યુવતી ઉત્તરતાં જાગૃત લોકોએ માનવજ્યોતને જાણ કરતાં તેને આશ્રમ સ્થળે લઇ જઈ સારવાર હાથ ધરાઈ હતી.

બીજા દિવસે તેનું ઘર-પરિવાર શોધાઇ ગયા બાદ ત્યાંની પોલીસ અને ગામલોકોનો સંપર્ક કરી ત્રીજા દિવસે જ આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ મહિલાને મુકવા તેના ગામ સુધી પહોંચ્યા. ગ્રામ પંચાયતનાં સરપંચની ઉપસ્થિતિમાં મહિલાનો
કબ્જો તેનાં પતિ-પુત્રોને સોંપાયો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય હતા. આખરે પતિ-પત્ની અને માતા-પુત્રોનું મિલન થયું હતું. ગામ લોકો અને ઉપસ્થિત પત્રકારો મીડીયાએ માનવજ્યોત સંસ્થા ભુજની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મધુભાઇ ત્રિપાઠી, દિપેશ શાહ, રફીક બાવા, સહદેવસિંહ જાડેજા સહભાગી બન્યા હતા.