વરાડીયા કોઠારા માર્ગ માંથી મળેલ યુવાન બે વર્ષે ઘરે પહોંચ્યો

માતા-પિતા વિહોણું સંતાન અને નાની પાસે રહેતો હિંમતનગરનો ૨૪ વર્ષીય યુવાન રાજેશ કાનાભાઇ પરમાર ગુમ થતાં તેનાં ૭૦ વર્ષીય નાની તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. માતા-પિતાનું અવસાન થતાં પુત્ર રાજેશ બચપણમાંજ માતા-પિતાનો પ્રેમ ગુમાવ્યો હતો. અને નાનીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો.

હિંમતનગરનાં બસ સ્ટેશનથી ૧ કિ.મી. નાં અંતરે પતરાવાળા મકાનમાં રહેતો આ પરિવાર ખૂબ જ દુઃખી થયો હતો. નાની યુવાનને શોધી કાઢવા દિવસ-રાત એક કર્યા હતા. અને જ્યાંથી માહિતી મળે ત્યાં નાની જઇ પહોંચતા. પણ નિરાશ થઇ પાછા ફરતા.

અબડાસાનાં વરાડીયા કોઠારા રોડ ઉપર પગે ચાલીને આવતા આ યુવાનને માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે સંસ્થાની ગાડીમાં ભુજ લઇ આવી તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી સારવાર શરૂ કરાવી તેની રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. યુવાનની બે મહિના સારવાર ચાલી. તે સ્વસ્થ બનતાં જ હિંમતનગર નો છું તેવું જણાવતાં સંસ્થાએ તેને ઘર સુધી મુકવાનું નક્કી કર્યું. અને સંસ્થાએ કાર્યકર હારૂભાઇ બકાલી સાથે તેને હિંમતનગરની બસમાં તેનાં ઘર સુધી હિંમતનગર પહોંચાડયો હતો. નાની તેની શોધમાં કોઇક ગામડા સુધી પહોંચ્યા હતા. અને રાજેશ ઘરે આવ્યો હોવાનાં સમાચાર જાણી તુરત જ ગામડાથી પરત ફર્યા હતા. અને નાની -દોહિત્રનું બે વર્ષ પછી મિલન થતાં બંનેની આંખો અશ્રુભીની બની હતી. સમગ્ર પરિવાર અને પાડોશીઓએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, મનીષ મારાજ, વાલજી કોલી તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.