છેલ્લા કેટલાક દિવસોથી લગ્નગાળાની શરૂઆત થઈ ચૂકી છે. લગ્ન યોજનાર પાર્ટીઓને સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહે છે. ત્યારે લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી તરફ સમાજ વળ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.
લગ્ન પ્રસંગ ઉજવણીમાં સંખ્યા સરકારી નિયમો મુજબ કરવાની હોતાં, લગ્ન આયોજકો માનસિક દિવ્યાંગો, રંક બાળકો, ગરીબો અને જરૂરતમંદ લોકોને ભોજન જમાડી લગ્ન પ્રસંગે માનવસેવાનું અનેરું કાર્ય કરતા હોય છે.
ભુજ અને ભુજ વિસ્તારોમાં યોજાયેલા લગ્ન પ્રસંગોએ આયોજકોએ વધી પડેલી રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજને આપતાં સંસ્થાએ રસોઈ ગરીબો સુધી પહોંચાડતા જરૂરતમંદોનાં પેટનો ખાડો પૂરાતાં તેમનો જઠારાગ્નિ ઠર્યો હતો. જયારે અમુક આયોજકો અગાઉથી જ માનસિક દિવ્યાંગો, વૃદ્ધ વડીલો, રંક બાળકો અને જરૂરતમંદો માટે તૈયાર રસોઈ બનાવી ભુજની માનવજ્યોત સંસ્થાને આપે છે. સંસ્થા આ ભોજન જરૂરતમંદોને પહોંચાડે છે. કોરોના સંકટમાં સેવાનું કાર્ય થાય છે સાથે – સાથે રસોઈનો થતો બગાડ અટકે છે. અન્નનો દાણો ગરીબો સુધી પહોંચે છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, કબીર મંદર-ભુજ, કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર, રામદેવપીર મંદિર, રણુજા ધામ-કુકમા જેવા મંદિરો પણ તૈયાર રસોઇ માનવજ્યોતને આપે છે. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, રસીક જોગી, રાજુ જોગી, ઈરફાન લાખા, નરેશ તાજપરીયાએ સંભાળી હતી.