બિહાર રાજ્યનાં જમુ જિલ્લાનાં ડુમરી તાલુકાનાં રાજપુર ગામનો યુવાન મોરારી મંડલ ૧૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારજનો સાથે ફેરમિલન થયું છે. આ યુવાનની પરિવારજનો સતત શોધ ચલાવી રહ્યા હતા. પણ કયાં પણ તેનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં પ્રારંભે સિનિયર પેરાલીગલ વોલીન્ટીર્સ શ્રી પ્રબોધ મુનવરને જયુબિલી ગ્રાઉન્ડ પાસેથી બે વર્ષ પહેલા આ યુવાન મળી આવ્યો હતો. આશ્રમમાં સૌ પ્રથમ આ માનસિક દિવ્યાંગ આવ્યો હતો. આવ્યો ત્યારે બહુ તોફાન કરતો અને પથ્થરા પણ મારતો. પણ ત્યાર બાદ મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. અને ત્યાર બાદ તે આશ્રમનાં દરેક આશ્રિતોની ખૂબ જ સારી રીતે દેખ-ભાળ રાખતો. જેથી તેને આશ્રમનાં માનસિક દિવ્યાંગોનો કેપ્ટન બનાવવામાં આવ્યો. માનવજ્યોત સંસ્થાએ તેનું ઘર શોધવા ખૂબ જ મહેનત કરી. સવા બે વર્ષ સુધી ચાલેલા પ્રયત્નોને આખરે સફળતા મળી.
સંસ્થાનાં મેનેજર ગુલાબભાઇ મોતાએ કોમ્પ્યુટર અને વોટસઅપની મદદથી બિહાર પોલીસનો સંપર્ક કરી તેનું ઘર સોધી કાઢ્યું . સમાચાર મળતાં જ પરિવારજનો હર્ષ ઘેલા બન્યા. તેનો ભાઇ તથા મામા બિહારથી ભુજ આવી પહોંચ્યા. મોરારી મંડલનું દશ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થતાં એકબીજાને ભેટી પડતાં આંખોમાં હર્ષની લાગણીના આંસુ વહ્યાં હતા. આશ્રમ સ્થળે સવા બે વર્ષ ગાળનાર આ યુવાન ઘરે પહોંચતાં જ તેનાં ગામ રાજપુરમાં ઉત્સવ ઉજવાયો હતો. તેને મળવા ગામ લોકો તેનાં ઘર સુધી પહોંચ્યા હતા. પરિવારજનોએ તેને આનંદભેર વધાવ્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, ગુલાબ મોતા, મહેશ ઠક્કર, દિપેશ શાહ, વાલજી કોલી, આનંદ રાયસોની, ઇરફાન લાખા તથા માનવજ્યોતની ટીમ સહભાગી બની હતી.