ત્રણે ભાઇઓનું ૭ વર્ષે થયું મિલન પરિવારમાં ખુશી છવાઇ

બિહારનાં પટણા જિલ્લાનાં પકોરા ગામનો ૩૧ વર્ષિય યુવાન મુના મિસ્ત્રી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખુબ જ નિરાશ થયા હતા.

દેશનાં અન્ય રાજ્યોમાંથી થઇ તે નારાયણસરોવર સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવર તેને નારાયણસરોવરથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવેલ. જ્યાં ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી તે ૩ મહિનામાં સ્વસ્થ બન્યો હતો.

તેની પાસેથી મળેલી માહિતીના આધારે માનવજ્યોત સંસ્થાએ કાજરીગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનાં પરિવારજનોને શોધી કાઢ્યા હતા. જાણ થતાં જ તેનાં બંને ભાઇઓ ભુજ આવી પહોંચ્યા હતા. ૩૮ વર્ષનાં થઇ ચુકેલા મોટા ભાઇને ભેટી પડ્યા ત્યારે ત્રણે ભાઇઓની આંખોમાં આંસુનાં પુર વહ્યાં હતા. પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. મુના મિસ્ત્રી ૭ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. અને પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, ઇરફાન લાખા, હિતેશ ગોસ્વામી સહભાગી બન્યા હતા.