કોરોના વાયરસથી પેદા થયેલ સંકટ વચ્ચે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલ અને ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા પરિવારો સુધી પહોંચી જઈ ભૂખ્યાને ભોજન કરાવતી માનવજ્યોત સંસ્થાને માતંગી કેટરર્સ બટુક મારાજનાં માર્ગદર્શન હેઠળ રસોડામાં કામકરતા બહેનો દ્વારા અધિક માસ નિમિત્તે ૪૦ કિલો બટેટા પૌવા તૈયાર કરીને આપવામાં આવતાં, સંસ્થાએ સ્વાદિષ્ટ બટેટા-પૌંવા ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અનેક પરિવારોએ બટેટા પૌંવાનો સ્વાદ માણ્યો હતો. અને ખુશી વ્યક્ત કરી હતી. અને રંક બાળકો પણ ભરપેટ જમ્યા હતા.
મંદિર ટ્રસ્ટો, જુદા-જુદા ગામવાસીઓ, યુવક મંડળો, મહિલા મંડળો, દાતાશ્રીઓ અધિક માસ નિમિત્તે તૈયાર રસોઈ બનાવી માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. સંસ્થા આ તૈયાર રસોઈ ગરીબો સુધી પહોંચાડતાં અનેક ગરીબોનો જઠારાગ્નિ ઠરી રહ્યો છે.
ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ કબીર મંદિર, કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, આઇયા નગર મહિલા મંડળ-માધાપર, ભાવનાબેન જેરામગોરસીયા-માધાપરનાં માર્ગદર્શન હેઠળનાં બહેનોનું ગ્રુપ, મહેશભાઈ ઠાકરશી બારમેડા પરિવાર-ભુજ, પશુપતિનાથ મંદિર મહિલા મંડળ-શિવકૃપાનગર, જયેન્દ્રાબેન લક્ષ્મીકાંત પંડયા, મણીબેન કરશન પટેલ તૈયાર રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજને ગરીબોનાં ઝુંપડે વિતરણ કરવા આપે છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, પંકજ કુરવા, દિલીપ લોડાયા, મહેશભાઈ ઠક્કર સંભાળી રહ્યા છે.