કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૫ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી તેમનું ઘર શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા હતા.
પૂનાનો પ્રેમચંદ, મુંબઇનો ઉમેશ, વલસાડનો મીર્તન પાવાગઢનો વિક્રમ, માળિયા પાસેનાં જશાપરનો નાથાલાલ આમ પાંચ યુવાનોને માનવજ્યોતની ટીમે તેમનાં ઘર સુધી પહોંચી જઇ પરિવારની ગુમ વ્યક્તિનો કબ્જો સોંપતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પાંચે રખડતા-ભટકતા ટ્રેન અથવા અન્ય કોઇ વાહન મારફતે કચ્છ સુધી પહોંચ્યા હતા. અને કચ્છનાં જુદા-જુદા ગામો સુધી પહોંચ્યા હતા. જેમને માનવજ્યોતનાં વાહન દ્વારા ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી સારવાર કરાવતાં તેઓ સ્વસ્થ બન્યા હતા. તેમનાં પાસેથી મળેલી માહિતીનાં આધારે તેઓનું ગામ-પરિવાર શોધી ઘર સુધી પહોંચતા કરાયા હતા. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પંકજ કુરૂવા, જયેશ લાલન, મનીષ મારાજ, વાલજી કોલી, દિલીપ લોડાયા, હારૂન બકાલીએ સહકાર આપ્યો હતો.