૨૧ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘરે જવા પ્રસ્થાન કરાવાયું

શ્રદ્ધા ફાઉન્ડેશન-માનવજ્યોત અને માનસિક આરોગ્યની હોસ્પીટલના કાર્યને બિરદાવતા સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ થી ૧૯ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ થી બે મળી ૨૧ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા તેમને ઘર તરફ પ્રયાણ કરાવાયું હતું. આમ કચ્છમાં વધી રહેલા પરપ્રાંતીય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. જુલાઇ-૨૦૧૭ માં શરૂ થયેલ રામદેવ સેવાશ્રમ સ્થળેથી   માત્ર એક વર્ષમાં કચ્છમાં રસ્તે રઝળતા અને જુદા જુદા વિસ્તારોમાં પડ્યા પાથર્યા રહેતા ૧૨૦ મનોરોગીઓને સારી સારવાર અપાવી સંસ્થાએ તેમને ઘર સુધી પહોંચાડયા છે. માનસિક આરોગ્યની હોસ્પીટલનાં ડો. મહેશભાઇ ટીલવાણીની સારી સારવારથી તેઓની યાદશકિત પાછી ફરી હતી. અદાણી ગેઇમ્સ જનરલ હોસ્પીટલમાં દરેકનાં એચ.આઇ.વી. તથા કમ્પલીટ બ્લડ ચેકીંગ રિપોર્ટ કરાવતા  રીપોર્ટ નીલ આવ્યા હતા. તો સેવાશ્રમમાં દાખલ થતા અને ઘરે જતા માનસિક દિવ્યાંગોની જાણ ફોટાઓ સહિત “બી’’ ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજને આપવામાં આવી હતી.
દરેક રાજ્યોનું પોલીસ તંત્ર માનવતાનાં આ કાર્યમાં સાથ અને સહકાર આપે છે. જેથી આવા દિવ્યાંગોનાં ઘર શોધવામાં સંસ્થાને સફળતા મળે છે. ૧૧માનસિક દિવ્યાંગોને કર્જત મધ્યે શ્રદ્ધા રીહાબીલીટેશન ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચાડવામાં આવ્યા હતા. શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત, દરેક માનસિક દિવ્યાંગોને પોતાના ઘર સુધી પહોંચાડશે. તેમજ ૧૦ માનસિક દિવ્યાંગોને બગોદરા આશ્રમ મધ્યે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેઓને ભરતપુરના અપના ઘર આશ્રમ મધ્યે પહોંચાડાશે. સ્વસ્થ બનતા જ તેઓને પણ ઘર સુધી પહોંચાડાશે. આમ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી, માનવતાનું પ્રેરણારૂપ કાર્ય ત્રણે સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છમાંથી ગયેલા ૨૧ પરપ્રાંતીય માનસિક દિવ્યાંગો  ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ તથા બિહારનાં હતા.
ઘરે જઇ રહેલા આ માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવવાનો એક કાર્યક્રમ કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને તથા ભુજ શહેર ટ્રાફિક પી.આઇ. શ્રી જે.એમ. જાડેજા, ઇબ્રાહીમભાઇ હાલેપોત્રા, સતાર માજાઠી, દયારામ સુબડ, માવજીભાઇ આહિર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાના અતિથિવિશેષ પદે યોજાયા હતો.
પેરાલીગલ વોલીટીયર્સ પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી ૫૩૫ પરપ્રાંતીય માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડાયા છે. જેથી હવે કચ્છમાં માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. અને આવા રસ્તે રઝળતા લોકો ઘર સુધી પહોંચ્યા છે. સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ મહેમાનોને આવકાર આપ્યો હતો. ઉપÂસ્થત આગેવાનોએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છમાં માનસિક દિવ્યાંગોની સુંદર સેવાઓ થઇ રહી છે. અને તેઓને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય સરાહનીય છે. આપણે સૌ સાથે મળી સેવાકાર્યમાં ઉપયોગી થઇએ તેવું જણાવી સંસ્થાનાં કાર્યને બિરદાવ્યું હતું. અને માનવજ્યોતની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
રામદેવ સેવાશ્રમનાં શ્રી ટોળા યોગ પ્રાર્થના ખંડ હોલ મધ્યે આ દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી, હાર, ખેસ પહેરાવી શાલ ઓઢાળી, મીઠું મોઢું કરાવીને અનેકવિધ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ શંભુભાઇ જાષીએ કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલાબ મોતા, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, જેરામ સુતાર, મુળજીભાઇ ઠક્કર, નિતીનભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્રભાઇ બાબરીયા, દિપક જાની, પ્રવિણ ભદ્રા, માવજીભાઇ આહિર, વાલજી કોલી, તથા દરેક કાર્યકર ભાઇ-બહેનોએ સહકાર આપ્યો હતો.
આ પ્રસંગે ડો. સાકરિયા સાહેબ પરિવાર તરફથી તથા હર્ષીલ સમીર ઠક્કરનાં  જન્મદિન નિમિત્તે  શ્રીમતિ જયાબેન જયંતિલાલ ઠક્કર દ્વારા માનસિક દિવ્યાંગોને બપોરનું ભોજન જમાડવામાં આવેલ.