માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવાની શરૂઆત સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા પોતાના સ્વખર્ચે અને પોતાના જ તન, મન, ધન અને સમયનાં ભોગ સાથે કરવામાં આવી
મુખ્ય માર્ગો, રસ્તા ઉપર કેટલાય બિનવારીસ માનસિક દિવ્યાંગો રખડતા-ભટકતા જોવા મળ્યા. આવા માનસિક દિવ્યાંગોને પોતાના માનીને પ્રેમપૂર્વક સંભાળી રસ્તે રઝળતા આવા લોકોને સ્નાન કરાવું, ભોજન આપવું,
નખ-વાળ કાપવા, બાલ-દાઢી કરાવવા, પાટા પીંડી કરવી, નવા કપડા પહેરાવવા સૌથી મોટો માનવધર્મ છે. જે કર્તવ્ય સંસ્થાએ નિભાવ્યું.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આવા માનસિક દિવ્યાંગોને આશ્રય આપી તેમની સારી સારવાર કરાવાયા છે. પૌષ્ટિક ભોજન, કસરત-વ્યાયામ, યોગા, સંગીત, મનોરંજન,
રમતગમત સહિતની પ્રેમાળ હૂંફ સાથે ભેદભાવ વિના તેઓની સુંદર સેવા કરવામાં આવે છે. સાંજે ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, કેરમ રમતો રમાડાય છે.
સેવાભાવી સમાજ દ્વારા આશ્રમમાં રહેતા નિરાધાર માનસિક દિવ્યાંગો માટે કપડા, દવા, ભોજન વિગેરેનું સ્વૈચ્છિક અનુદાન દાતાઓશ્રી દ્વારા મળતું રહ્યું છે. સેવા કાર્યમાં સદા અગ્રેસર દરેક સમાજનાં સેવાભાવી બંધુઓ
તરફથી અનુદાન પ્રાપ્ત થતા રહ્યા છે. જેના કારણે આ આશ્રમ ટકી-નભી રહ્યું છે.
આશ્રમે સાજા અને સ્વસ્થ બનેલા માનસિક દિવ્યાંગોને દેશભરમાંથી તેમનાં સ્વજનો-પરિવારો અહીં સુધી તેડવા આવે છે. પોતાનાં ગુમ થયેલા માનસિક દિવ્યાંગ અંગે માહિતી મળતાં જ પરિવારજનો સૌ પ્રથમ
વીડીયોકોલ કરી પોતાનાં પરિવારની એ ગુમ વ્યક્તિનીઓળખ કરાવી આપે છે. ત્યાર બાદ દૂર-દૂરનાં રાજ્યોનાં શહેરો-ગામોમાંથી તેમને તેડી જવા માટે અહીં સુધી આવી પહોંચે છે. પરિવારજનો સાથે ફેર મિલન થાય છે.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા 1791 માનસિક દિવ્યાંગોને પોતિકા પરિવાર સાથે મિલાપ કરાવાયું છે. નેપાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગલેન્ડ, બિહાર, છત્તીશગઢ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઝારખંડ,
વેસ્ટ બંગાલ, કેરલા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓરિસ્સા તથા અન્ય રાજ્યોનાં વર્ષોથી ગુમ અને પરિવારજનોથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોને ભુજની માનવજ્યોત સંસ્થાએ શોધી આપ્યા. માત્ર
એટલું જ નહીં… પરિવારજનો સાથે પાંચ, દશ, પંદર, વીશ, પચ્ચીસ વર્ષોનાં વહાણા વિતી ગયા પછી ફેર મિલન કરાવી આપ્યું. પરિવારોને શંકા-કુશંકા હોય છે કે, પરિવારની ગુમ વ્યક્તિ હવે જીવીત હશે કે નહીં ? અને
જયારે વર્ષો પછી પરિવારનો સભ્ય જીવતો મળી આવે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જતી જોઈ છે. ખુશી-આનંદ-ઉલ્લાસપૂર્વક પરિવારજનો નાચી-ઝુમી ઉઠે છે. ત્યારે ક્યાંક હર્ષ સાથે ખુશીનાં તો ક્યાંક દુઃખ દર્દ
ભર્યા વિતાવેલા દિવસોની યાદ આંખોને ભીની કરી દે છે. આશ્રમ સ્થળેથી દેશભરનાં અને મળી આવેલા માનસિક દિવ્યાંગોનાં ઘર શોધી અપાયા છે. વર્ષો સુધી અન્ય રાજ્યો, શહેરો, ગામડાઓમાં રખડતા-ભટકતા
માનસિક દિવ્યાંગો જયારે ભુજ પહોંચે ત્યારે સમજવું કે આ તેમનું આખરી સ્ટેશન છે… હવે તેઓ ચોક્કસ ઘર સુધી પહોંચશે. અને પરિવારજનોને ભેટશે. માનવજ્યોત સંસ્થા તેમનું ઘર શોધી કાઢે છે.
માનવતાનાં આ કાર્યમાં કચ્છ અને દરેક રાજ્યની પોલીસ માનવજ્યોત સંસ્થા ભુજને ખૂબ જ મદદરૂપ બને છે.
પાલારા-કચ્છનું નામ આજે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે. શ્રી રામેશ્ર્વર મહાદેવ મંદિર અને તેની ગોદમાં આવેલું શ્રી રામદેવ સેવાશ્રમ સાચા અર્થમાં માનસિક દિવ્યાંગો માટે સેવાધામ બની ચૂકયું છે. પ્રબોધ મુનવરનાં
માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરોની ટીમ રાત-દિવસ જોયા વિના સેવાકાર્યમાં તત્પર રહે છે.