<p>અચાનક ભુજ આવી ચડેલી ૪૮ વર્ષિય મહિલા સંસ્થાનાં પ્રયત્નોથી તેનાં ઘર સુધી પહોંચી હતી. અદાણી કોલેજના સીમાબેન જીજ્ઞેશ દાવડાને એક અજાણી મહિલા નજરે પડતાં તેઓએ તુરત જ પેરાલીગલ વોલીટીયર્સ શ્રી પ્રબોધ મુનવરને જાણ કરી હતી. જેથી તેઓએ તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. માનવજ્યોત સંસ્થાના આનંદ રાયસોનીએ મહિલાને માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડી હતી. મહિલાની ભાષા સમજાતી ન હતી.</p>
<p>મહિલા પંજાબી ભાષા બોલતી હોવાથી પંજાબી ભાષાના જાણકાર પ્રિન્સ હેન્ડલુમનાં સંદિપભાઇ અને પાનીપત હેન્ડલુમના ગોવિંદભાઇને બોલાવી મહિલા પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી. જેથી જાણવા મળેલ કે, તે પંજાબનાં લુધિયાણાની છે. મહિલા પરમજીત સુચાસિંઘ કૌરે જણાવ્યું હતું કે, લુધિયાણાથી હરિદ્વાર જવા પુત્રે તેને ટ્રેનમાં બરોબર બેસાડી હતી. રસ્તામાં સામાન લુંટાઇ ગયેલ અને ચાલુ ટ્રેને કોઇકે ધક્કો મારી ગાડીમાંથી બહારે ફેંકી દીધેલ જેથી તેને હાથમાં ઇજાઓ થઇ હતી. તેની પાસે પૈસા કે કપડા ન હોતા તે રઝળી પડી હતી. કોઇ એને સાંભળવવાળુ ન હતું. અન્ય રાજ્યોમાંથી થઇ તે ભુજ પહોંચી હતી. માનવજ્યોત સંસ્થાએ હેમ એજન્સીનાં જીતુભાઇ શાહના સહકારથી હાડવૈદ્ય હાજીભાઇ ખત્રી પાસેથી હાથની સારવાર કરાવી હતી. </p>
<p>જીતુભાઇ શાહ દ્વારા કોઠારા વાડી વિસ્તારમાં ખેતી કરતા અને ભુજ રહેતા એવા મુળ લુધીયાણાના સતબીરસિંઘનો સંપર્ક કરી મહિલાનાં પંજાબમાં રહેતા પરિવારજનોને શોધવા પ્રયત્નો આદર્યા હતા. કચ્છના પાર્શ્વવલ્લભ તીર્થ મધ્યેથી પૂ. સાધ્વી શ્રી જયોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના પ્રયત્નોથી લુધિયાણા રહેતા અને ફેકટરી ધરાવતા પ્રવિણ મહેતાનો સંપર્ક કરાયો. ફેકટરીનાં કારીગરો મહિલાનાં ઘર સુધી પહોંચ્યા. મહિલાનાં પુત્રને જાણકારી અપાઇ. પુત્રે જણાવેલ કે છેલ્લા છોઢ મહિનાથી મારી માતાને શોધી રહ્યો છું. પુત્ર અને પરિવારજનો લુધિયાણાથી દીલ્હી પહોંચી બરેલી ટ્રેન મારફતે ભુજ આવી પહોંચ્યા હતા. માતા-પુત્ર એકબીજાને મળી ગદ્ગદિત થઇ ભેટી પડયા ત્યારે લાગણી ભીના દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યાં હતાં. પુત્ર બલજીન્દર સીંગે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાંથી દુઃખી છીએ. માતા મળ્યા હોવાનો ખૂબ જ આનંદ છે.</p>
<p>મહિલા સ્વસ્થ હતી પણ ભાષા ફર્કનાં કારણે મુંઝવણ ઉભી થઇ હતી. પણ આખરે માનવજ્યોતને મોટી સફળતા મળી હતી. માત્ર બે દિવસમાં મહિલાને ઘર શોધી અપાતા અને મહિલા ઘર સુધી પહોંચતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી શાંતિ અનુભવી હતી. </p>
<p>માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, દિપેશ શાહ, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ ભાટિયા, રસીક જાગી તથા માનવજ્યોતની ટીમે સહકાર આપ્યો હતો.</p>