આંધ્રપ્રદેશનાં વિશાખાપટનમ્ જિલ્લાનાં નીમલાપાલેમનો ૨૩ વર્ષિય મુકબધિર યુવાન સૂર્ય પ્રકાશ મધ્ય રાત્રિએ અચાનક ભુજ આવી ચડ્યો હતો. રેલ્વે દ્વારા આવેલો આ યુવાન ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી ખૂબ જ મુંઝાયો હતો. ધોરણ-૧૨ પાસ તેમજ અંગ્રેજી, હિન્દી લખી-વાંચી શક્તો આ યુવાન રાત્રે એક વાગે ભુજ-ખાવડા માર્ગે એરફોર્સ સ્ટેશન પાસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં મોબાઇલ વાહનની નજરે ચડતાં પોલીસ સ્ટેશને લાવી તપાસ હાથ ધરી હતી.
બોલી ન શકતા અને સાંભળી ન શકતા આ યુવાન પાસેથી કોઇ વાંધાજનક બાબતો મળી નહતી. ઘરેથી રિસાઇ તે ભૂલથી ભુજ પહોંચ્યો હતો. રાત્રે બે વાગે સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવા, નિરવ મોતા તથા હિતેશ ગોસ્વામીએ આ યુવાનનો કબ્જા લઇ
તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મોકલ્યો હતો.
તેના થેલામાંથી મળેલ આધાર કાર્ડનાં આધારે આંધ્ર પ્રદેશની પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેનાં પરિવારજનો આંધ્રપ્રદેશથી ભુજ આવી યુવાનનો કબ્જા લઇ ખુશી વ્યક્ત કરી સંસ્થાનો આભાર માન્યો હતો.